ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યા, પોલીસને મૃતકના નજીકના સંબંધીઓ પર હત્યાની આશંકા
- 11 Mar, 2024
હાલ વિદેશોમાં ભારતીય મૂળના નાગરિકોની હત્યાના મામલા વધુ ને વધુ સામે આવી રહ્યા છે. એવામાં ઓસ્ટ્રેલિયાથી વધુ એક સનસનાટી ભરેલી ઘટના સામે આવી છે. આ ભયાનક ઘટનામાં ભારતીય મૂળની મહિલાની હત્યાનો દર્દનાક મામલો સામે આવ્યો છે. જેમાં પરિણીત મહિલાનો મૃતદેહ કચરાપેટીમાંથી મળી આવ્યો હતો. એવું કહેવાય છે કે તેના પતિએ જ કથિત રીતે આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો છે.
હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વધુમાં પ્રાપ્ત અહેવાલો મુજબ પરિણીત મહિલા છેલ્લા કેટલાક દિવસોથી કોઈના સંપર્કમાં નહોતી.સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી સામે આવી છે. અહેવાલ અનુસાર મહિલા ચૈતન્ય શ્વેતા મધાગની છેલ્લા કેટલાક સમયથી તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. તે હૈદરાબાદની રહેવાસી હતી.
શનિવારે તેનો મૃતદેહ નિર્જન રોડની બાજુમાં ડસ્ટબીનમાં પડેલો મળી આવ્યો હતો. શ્વેતાનો પતિ અશોક રાજ તેના પાંચ વર્ષના પુત્ર સાથે 5 માર્ચે ભારત આવી ગયો હતો. ત્યારથી શ્વેતા ગુમ હતી અને તેણે તેના કોઈ સંબંધી કે મિત્રો સાથે કોઈ સંપર્ક કર્યો ન હતો.શ્વેતાના પતિ અશોકે તેના પડોશીઓ અને ઓસ્ટ્રેલિયામાં હાજર કેટલાક નજીકના મિત્રો સાથે ફોન પર વાત કરીને શ્વેતા વિશે માહિતી મેળવી હતી.
અશોકે પોલીસ સાથે ફોન પર પણ વાત કરી છે અને તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. પોલીસને હત્યાની કેટલીક કડીઓ પણ મળી છે, તેમનું માનવું છે કે હત્યારો ઓસ્ટ્રેલિયાથી ભાગી ગયો છે. પોલીસે મૃતકના નજીકના સંબંધીઓ પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે.ઉપ્પલના ધારાસભ્ય બંદરી લક્ષ્મા રેડ્ડીએ જણાવ્યું છે કે મહિલા તેમના વિસ્તારની હતી.
ઉપરાંત તેમણે પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે મહિલાના માતા-પિતાની વિનંતી પર અમે મહિલાના મૃતદેહને ભારત લાવવા માટે વિદેશ મંત્રાલયને પત્ર પણ લખ્યો છે. ધારાસભ્યનું કહેવું છે કે તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને પણ જાણ કરી છે. તેમણે કહ્યું કે મહિલાના માતા-પિતા પાસેથી મળેલી માહિતી મુજબ તેમના જમાઈએ પોતે જ તેમની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ